એક ઘટાદાર વડના ઝાડ પર કાગડો અને કાગડીનો માળો હતો. તેઓ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. પરંતુ તે જ ઝાડના બખોલમાં એક કાળો દૃષ્ટ સાપ પણ રહેતો હતો. જ્યારે પણ કાગડી ઈંડા મૂકતી, ત્યારે સાપ બખોલમાંથી બહાર આવીને ઈંડા ખાઈ જતો.
કાગડા અને કાગડી આ વાતથી ખૂબ જ દુઃખી હતા. તેઓ પોતાના મિત્ર ચતુર શિયાળ પાસે સલાહ લેવા ગયા. શિયાળે કહ્યું, “શક્તિથી નહીં પણ બુદ્ધિથી કામ લો. રાજકુમારી રોજ સવારે નદીમાં નાહવા આવે છે, ત્યાંથી યુક્તિ કરો.”
બીજે દિવસે સવારે રાજકુમારી પોતાના કિંમતી સોનાના હાર અને દાગીના કિનારે મૂકીને નદીમાં નાહતી હતી. કાગડો ઉડીને આવ્યો અને સોનાનો હાર પોતાની ચાંચમાં ઉપાડીને ઉડ્યો. રાજકુમારીના સૈનિકો કાગડાની પાછળ દોડ્યા.
કાગડાએ વડના ઝાડ પાસે આવીને તે હાર સાપની બખોલની અંદર નાખી દીધો. સૈનિકો ત્યાં પહોંચ્યા અને હાર કાઢવા માટે બખોલમાં ભાલો નાખ્યો. ગુસ્સે થયેલો સાપ બહાર આવ્યો અને સૈનિકોએ સાપનો નાશ કર્યો. કાગડો અને કાગડી કાયમ માટે મુક્ત અને સુખી થઈ ગયા.