દિવાળી આપણો સૌથી સુંદર અને આનંદદાયક તહેવાર છે. તે આસો મહિનાની અમાસના દિવસે આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ ઘેર-ઘેર દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
આજે પણ લોકો દિવાળીમાં ઘરોને રંગરોગાન કરે છે, આંગણે રંગોળી પૂરે છે અને દીવા પ્રગટાવે છે. નવા કપડાં પહેરીને મીઠાઈઓ ખવાય છે અને વડીલોના આશીર્વાદ લેવાય છે. દિવાળી આપણને અંધકાર સામે પ્રકાશ અને અનિષ્ટ સામે ઈષ્ટના વિજયનો સંદેશ આપે છે.